Luke 13

1તે જ સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને જણાવ્યું કે, કેટલાક ગાલીલીઓ બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેઓની હત્યા કરીને લોહી વહેવડાવ્યું હતું. 2ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેમની એવી દશા થઈ એમ તમે માનો છો?’ 3હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ એ જ રીતે નાશ પામશો.

4અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરૂશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે ગુનેગાર હતા એમ તમે માનો છો? 5હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો.’

6ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એકે ફળ મળ્યું નહિ. 7ત્યારે તેણે દ્રાક્ષવાડીના માળીને કહ્યું કે, ‘જો, ત્રણ વર્ષથી આ અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એકે ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?’

8ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, ‘શેઠ, તેને આ વર્ષ રહેવા દો, તે દરમ્યાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ. 9જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.’

10વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા. 11ત્યાં એક સ્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો આત્મા વળગેલો હતો. તે વાંકી વળી ગઈ હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી જ નહોતી.

12ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, ‘બહેન, તારી બીમારી મટી ગઈ છે.’ 13ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગી. 14પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, ‘છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, એ માટે તે [દિવસો]માં આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.’

15પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, ‘ઓ દંભીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી? 16આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી એ શું ખોટું કર્યું?’

17ઈસુ એ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદ્દભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા.

18ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું? 19તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.’

20ફરીથી ઈસુએ કહ્યું કે, ‘હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું? 21તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીર વાળો થયો.’

22ઈસુ યરૂશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.’ 23એક માણસે ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, ઉધ્ધાર પામનાર લોકો થોડા છે શું?’ પછી ઈસુએ તેઓને કહ્યું કે, 24‘સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણા અંદર પ્રવેશ કરવા માગશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ.

25જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભાં રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંના છો’? 26ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો. 27પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી જતા રહો.

28જયારે તમે ઈબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મુકેલા [જોશો], ત્યારે તમારે રડવાનું તથા દાંત પીસવાનું રહેશે. 29તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં બેસશે. 30જોજો, જેઓ કેટલાક છેલ્લા છે તેઓ પહેલા થશે અને [કેટલાક] જે પહેલા છે તેઓ છેલ્લા થશે.

31તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમકે હેરોદ તમને મારી નાખવા માગે છે. 32ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને એ શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે. 33કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસ મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે એ શક્ય નથી.

34ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ. જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મૂકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,’ ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.’

35

Copyright information for GujULB